Рет қаралды 251
મણકો #207 તા-16-6-2024
ગુજરાતી સાહિત્ય ફોરમ આયોજીત વક્તવ્યના વક્તા હતા નિમિષા પરમાર ને મોડરેટર હતા ભારતીબહેન વોરા. ભારતીબહેને પોતાની આગવી લાક્ષણિક શૈલીથી પરિસંવાદની શરુઆત કરી ને સાથે સાથે નિમિષાના પણ પ્રશ્નોના ખૂબ જ સુંદર સંતોષકારક પ્રત્યુત્તર રહ્યા. પરિસંવાદ દરમ્યાન બંને શ્રોતાઓ પર જબરજસ્ત પકડ જમાવવામાં સફળ રહ્યા.
વિદેશની ધરતી પર રહી માતૃભાષા ગુજરાતી માટે કપરું ચઢાણ નિમિષાબહેન ચઢી રહ્યા છે. ગુજરાતી ભાષા માટે આજની મધ્યમ પેઢી કડી તરીકેની કામગીરી નિભાવવામાં નિષ્ફળ ગઇ છે. જે કામ નથી કરી શક્યા તેને લીધે જે નુકસાન થયું છે તે ભરપાઇ કરવાનો સમય હવે આવી ગયો છે તેવું દ્રઢપણે નિમિષા માને છે. બાળકો માટે માતાપિતાએ જ ઘરમાં ગુજરાતી બોલવાનો મહાવરો રાખવો જોઇએ. દરેક જો પોતાના ઘરથી જ શરુઆત કરે તો ગુજરાતી માટે ઘણું મોટું યોગદાન રહેશે .
સંસ્કાર નગરી વડોદરામાં જન્મ ને ઉછેર પણ કલાપ્રેમી ને સાહિત્ચપ્રેમી સાથે ગાંઘીવાદી કુટુંબમાં એટલે બાળપણથી જ સંસ્કારનું સિંચન તેમનામાં થયેલું . વિજ્ઞાન શાખાના સ્નાતક પણ સાથે ભારત નાટ્યમ ને લોકનૃત્ય પણ શીખ્યા. કલા પ્રત્યેનો શોખ યુ. કે. ના લેસ્ટરમાં સ્થાયી થઇને પણ ચાલુ રહ્યો. સાસરાનું કુટુંબ પણ ભાષા ને ભારતીય સંસ્કૃતિમાં માને છે. કુટુંબનો સાથ મળવાથી બધાંજ શોખ યથાવત રાખી શક્યા છે. તેમના બાળકો પણ ગુજરાતી બોલે છે.
તેમના કાર્યક્ષેત્રમાં ક્યારેય તેમને રંગભેદનો સામનો કરવો પડ્યો નથી. અહીંના લોકો સરળ, પ્રેમાળ ને સરળ છે તેથી નવા વાતાવરણમાં જલદી જાતને ગોઠવી શક્યા. ભારતીબહેન અદમભાઈ ટંકારવી જેવાનો સાથ મળ્યો. કોરોના કાળમાં બહેન- બનેવીના સૂચન ને સહકારથી યુ ટયુબ પર ગઝલ ને કવિતા પઠન કરવાનું શરુ કર્યું, જેનો સારો પ્રતિસાદ મળ્યો. ગુજરાતી ભાષા માટે કામ કરવાનો મોકો મળ્યો.ગુજરાતી ભાષાને આગળ કરવા ઘણાં પ્રયત્ન કરી રહ્યા છે, પણ ભાષાને જે માન ને સહકાર મળવો જોઇએ તેમાં ઉણપ છે, તેને માટે નિમિષાબહેનને ખેદ છે.ભાષા માટે ઝવેરચંદ મેઘાણી, મનુભાઇ પંચોળી, તે પહેલાં કવિ પ્રેમાનંદે પણ ખેડાણ કર્યું છે, પણ આટલી સદી પછી પણ એ જ હાલત છે. અંગ્રેજી ભાષા ના આવડે તો નાનમ અનુભવાય પણ ગુજરાતી ભાષા ના આવડે તો આપણે ખેદ અનુભવ નથી કરતા એ આપણી કમનસીબી છે.
ચાર વર્ષથી યુ ટયુબ ને રેડિયો પર ભાષા માટે નિમિષાબહેન પ્રયત્ન કરી રહ્યા છે, ઘણાં જાણીતા કવિ, લેખક ને કલાકારોના સંપર્કમાં આવ્યા છે જેઓ ભાષા માટે કામ કરે છે. તેને માટે તેઓ રોમાંચ પણ અનુભવે છે.મિડિયા પર સતત પીરસતું જ રહેવું પડે છે, ગુજરાતી ભાષા ખૂબ જ સમૃદ્ધ છે, તેની પાસે અઢળક છે, પણ પિરસવાવાળા ઓછા છે. યુવાનોને પણ આ કામમાં જોડવા પડશે તો જ ભાષાનું ભાવિ ઉજ્જવળ હશે. યુવાનોને જોડવા માટે તેનું translation જરુરીછે. ગુજરાતી સંગીત, ગુજરાતી ફિલ્મો ને તેના કલાકારો સુંદર કામ કરી રહ્યા છે પણ પ્રતિસાદ મોળો છે. ધર્મ આપણને અલગ કરી શકે પણ ભાષા ને મહત્વ આપીએ તો બધાં જોડાઇ શકે.
ભારતીબહેને તેમની સાથેની વાતચીત દરમ્યાન તેમનાં વિચારો શ્રોતાજનો સુધી પહોંચાડ્યા. એક નવા જ વિચારના બીજનું આરોપણ થયું . આપણી ફરજ છે ભાષાને સાચવીને તેની સમૃધ્ધિ જાળવી યુવાનો સુધી પહોંચાડવાનું. આપણું કર્તવ્ય સમજી તેનું પાલન કરવાનું . તે આપણે ન કરી શકીએ તો જે નુકસાન થશે તે ભરપાઇ કોણ કરશે. પડકાર મોટો છે પણ માતૃભાષાની ભરપાઇ આપણે કરવી જ રહી.
આપનો ખૂબ ખૂબ આભાર ભારતી બહેન ને નિમિષા બહેન સુંદર વાર્તાલાપ બદલ .
કોકિલા બહેન ને તેમના પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર .
--- સ્વાતિ દેસાઇ