Рет қаралды 545
અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતાં ડૉ. વિનીત પરીખ અને તેમનાં ધર્મપત્ની ચેતનાબહેન પરીખે 100થી વધુ વખત રક્તદાન કરીને એક એવો રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો છે કે જેમાં કોઈ પતિ અને પત્ની બંનેએ એકસો કે તેનાથી વખત રક્તદાન કર્યું હોય. અત્યાર સુધી વિનીતભાઈએ 116 વખત અને ચેતનાબહેને 114 વખત રક્તદાન કર્યું છે.
કદાચ તમે જાણતા જ હશો કે આખા ભારતમાં અમદાવાદ એક એવું શહેર છે જેમાં એકસો એવી વ્યક્તિ વસે છે કે જેમણે 100થી વધુ વખત રક્તદાન કર્યું હોય. આવા સેન્ચુરીઅન રક્તદાતાઓની ડૉ. મુકેશ પટેલની આગેવાનીમાં ક્લબ પણ ચાલે છે. એ રીતે તો અમદાવાદીઓ લોહી પીનારા નહીં, લોહી આપનારા છે.
વિનીત પરીખ 18 વર્ષના થયા કે તરત તેઓ રક્તદાન કરતા થઈ ગયા હતા. એ પછી તેમને જીવનસાથી તરીકે ચેતનાબહેન પણ એવાં મળ્યાં કે જેઓ પોતે લગ્ન પહેલાં પણ રક્તદાન કરતાં હતાં. આમ એકસરખા વિચારોવાળાં ભેગાં થયાં. લગ્ન પછી તેમણે આયોજન સાથે આ દંપતીએ નિયમિત રીતે રક્તદાન કરવાનું ચાલુ કર્યું. તેમને તો કલ્પના પણ નહીં હોય કે ભવિષ્ય તેઓ રક્તદાન કરવાની સદી કરશે અને એ રાષ્ટ્રીય વિક્રમ પણ બની જશે.
એ પછી તો એવું બન્યું કે રક્તદાનની જાગૃતિ એ તેમનું જીવનકર્મ બની ગયું. અરે, એક વખત તેમણે પોતાના ક્લિનિકમાં સમારકામ કરાવ્યું તે નિમિત્તે પણ રક્તદાન શિબિર રાખ્યો. કોઈપણ શુભ પ્રસંગ હોય તો આ દંપતી રક્તદાન શિબિર યોજે જ. એ રીતે-પ્રીતે તેઓ અને તેમનો પરિવાર તો રક્તદાન કરે જ, પણ સગાં-વ્હાલાં, મિત્રો- પરિચિતો-ઓછાં પરિચિતો પાસે પણ રક્તદાન કરાવે. એનું કારણ એટલું જ છે કે રક્તદાન કરવામાં આરોગ્યની કોઈ તકલીફ પડતી નથી અને સમાજને તેનો ફાયદો ઘણો થાય છે. ઘણા દર્દીઓના જીવ બચાવી શકાય છે. ચેતનાબહેન સ્ત્રી હોવા છતાં 114 વખત રક્તદાન કરી શક્યાં એ એક મોટી ઉપલબ્ધિ અને સિદ્ધિ છે, કારણ કે ભગવાને સ્ત્રીઓની શરીરરચના અને અવસ્થા એવી કરી છે કે તેઓ ઈચ્છે તો પણ લાંબો સમય રક્તદાન ના કરી શકે. ચેતનાબહેનની વાત જુદી છે. ચેતનાબહેનનું મનોબળ મજબૂત છે. હિમોગ્લોબીન જાળવી રાખવા તેમણે આહારમાં ફેરફાર કર્યા છે. જેમ કે તેઓ ખજૂર, બીટ, લીલાં શાકભાજી સહિતનો પૌષ્ટિક આહાર લે છે. તેમનું હિમોગ્લોબીન હંમેશાં 12:5 થી ઉપર જ રહે છે. ચેતનાબહેન કહે છે કે મને ક્યારેય રક્તદાન કરવામાં તકલીફ પડી નથી. હું તો રક્તદાન કરીને તરત જ મારાં રોજિંદાં કાર્યો કરી શકું છું.
ભારતમાં કોઈ સ્ત્રીએ અત્યાર સુધી મહત્તમ 125 વખત રક્તદાન કર્યું છે. ચેતનાબહેન તેનાથી માત્ર 11 પગલાં દૂર છે.
તેમનો દીકરો ડૉ. હોંશિલ અને દીકરી ડૉ. મેહા પણ પુખ્ત થયા પછી નિયમિત રક્તદાન કરે છે. અત્યાર સુધી હોંશિલભાઈએ 46 વખત અને મેહાબહેને 36 વખત રક્તદાન કર્યું છે. બંને સંતાનો માતા-પિતાના પગલે રક્તદાનની સદી મારવા ઈચ્છે છે. તેમની પ્રતિબદ્ધતા તથા આરોગ્ય જોતાં ચોક્કસ કહી શકાય કે તેઓ તેમાં સફળ થશે.
દીકરી મેહાબહેનના લગ્ન-પ્રસંગે આ દંપતીએ કંકોત્રી વિશિષ્ટ બનાવી. થેલેસેમિયા રોગની જાગૃતિ માટે એએમએમાં નિષ્ણાતોની હાજરીમાં પરિસંવાદ યોજ્યો. 60 વ્યક્તિના થેલેસેમિયા ટેસ્ટ કરાયા જેમાં ચાર વ્યક્તિને થેલેસેમિયા છે તે જાણવા મળ્યું. એ દિવસે લગ્નનાં કપડાંમાં ડૉ. વિનીત પરીખ, ચેતનાબહેન અને દીકરા-દીકરી અને જમાઈ એમ કુલ પાંચ વ્યક્તિએ રક્તદાન પણ કર્યું.
વિનીતભાઈ પરીખના ક્લિનિકમાં પુસ્તકાલય ચાલે છે અને તેઓ નિયમિત રીતે અહીં પુસ્તકો અંગેના કાર્યક્રમોમાં પણ યોજે છે.
ચેતનાબહેન આગ્રહ સાથે કહે છે કે દરેકે નિયમિત રીતે રક્તદાન કરવું જ જોઈએ, કારણ કે લોહી બનાવી શકાતું નથી. ઘણી વખત રક્તના અભાવે દર્દીનું મૃત્યુ થાય છે અથવા તો તેને સારવારમાં તકલીફ પડે છે.
ડૉ. વિનીતભાઈ કહે છે કે બીજા કેટલાક દેશોની જેમ રક્તદાન કરવાની વય જો 65 વર્ષની કરાય તો વધારે વખત રક્તદાન કરી શકાય.
આમ તો અમદાવાદમાં જોવા જેવાં ઘણાં સ્થળો છે. ગાંધી આશ્રમ, રીવર-ફ્રન્ટ, અટલ બ્રિજ, સરદાર સ્મારક, માણેક ચોક, સાયન્સ સીટી વગેરે વગેરે, પરંતુ મને કોઈ પૂછે કે અમદાવાદની વિશેષતાઓ શું તો હું ચોક્કસ આ યુગલનું નામ આપીને એમ કહું કે અમદાવાદમાં બહારની કોઈ વ્યક્તિ આવતી હોય તો તેણે આ યુગલને પણ મળવું જોઈએ. આ યુગલ માનવતાનું સરનામું અને અજવાળું છે.
પરમ કૃપાળુ પરમાત્મા રક્તદાતા પરીખ પરિવારના તમામ સભ્યોને નિરામય દીર્ઘાયુ આપે તેવી શુભકામનાઓ.
ડૉ. વિનીત પરીખનો સંપર્ક નંબર 98253 39896 છે.
(પૉઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના 982403475
Video edited by Tushar Leuva
Facebook: ramesh.tanna.5
#PositiveStorieswithRameshTanna #RameshTanna #NaviSavar